લગ્નનું ભોજન ખાધા બાદ 40 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ, દુલ્હન પક્ષના તમામ લોકો સ્વસ્થ, તપાસ શરૂ
બુલંદશહરમાં લગ્નનું ભોજન ખાધા બાદ 40 લોકો બીમાર પડ્યા, એવું કહેવામાં આવી રહ્યું છે કે 400 લોકોમાંથી માત્ર જાનૈયાઓ જ બીમાર પડ્યા હતા, દુલ્હનના પક્ષને તેનાથી કોઈ અસર થઈ ન હતી. ફૂડ સેફ્ટી ટીમે ફૂડ સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રામગઢી ગામમાં ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે. સાયના તહસીલના રસૂલપુર ચાંસી ગામમાં લગ્નનું ભોડન લેતા લોકોની તબિયત રાત્રે અચાનક બગડી હતી. લગભગ 40 લોકોને ઉલ્ટી અને ઝાડાની તકલીફ થઈ હતી, જેમાંથી 20 દર્દીઓને જહાંગીરાબાદ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યને ગામના આરોગ્ય શિબિરમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
આ ઘટના અંગે ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) મંજુ અગ્રવાલે કહ્યું કે, જાન રામગઢી ગામથી રસુલપુર ગઈ હતી. પરત ફર્યા બાદ લોકોને ઉલ્ટી અને ઝાડાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. રાહત માટે 18 ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ચાર દર્દીઓને રીફર કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ફૂડ સેફ્ટી વિભાગે લગ્નમાં પીરસેલા ભોજનના લીધા સેમ્પલ
દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગે લગ્નમાં પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, લગ્નમાં ગાજરનો હલવો, રસગુલ્લા, પુરી અને શાકભાજી પીરસવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, લગ્નમાં બંને પક્ષના 400 જેટલા લોકો હાજર રહ્યા હતા, પરંતુ માત્ર 80 જેટલા જ બીમાર પડ્યા હતા, જેમાં કન્યા પક્ષમાંથી કોઈ પણ નહોતું.
ફૂડ સેફ્ટી વિભાગે તપાસ શરૂ કરી
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે ફૂડ પોઈઝનિંગની અસર માત્ર જાનૈયાઓને જ કેમ થઈ? હાલ તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.