રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે. તેમની સરકાર સતત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી રહી છે અને તેમને પાછા મોકલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 205 ઇમિગ્રન્ટ્સનું એક જૂથ અમેરિકન સૈન્ય વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની પ્રથમ બેચ અમેરિકન C-147 પ્લેન દ્વારા ભારત આવી રહી છે. આ આર્મી પ્લેન લગભગ છ કલાક પહેલા અમેરિકાના સેન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી. સૂત્રોનું કહેવું છે કે આ પ્લેનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સ છે. આ તમામની ઓળખ કરીને તેમને પરત લાવવામાં આવી રહ્યા છે.
એવા સમાચાર છે કે ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈ જતું અમેરિકન એરફોર્સનું આ પ્લેન અમૃતસરમાં લેન્ડ થઈ શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. જર્મનીમાં રિફ્યુઅલિંગ માટે પ્લેન થોડા સમય માટે રોકાઈ શકે છે.
આ પહેલા ટ્રમ્પ પ્રશાસને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસથી પણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલ્યા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને પણ અલ પાસો, ટેક્સાસ અને સાન ડિએગો, કેલિફોર્નિયામાં અટકાયતમાં લીધેલા 5000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવાનું શરૂ કર્યું છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર વસાહતીઓની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. મેક્સિકો પ્રથમ સ્થાને છે અને અલ સાલ્વાડોર બીજા સ્થાને છે.
ગયા મહિને ભારત સરકારે કહ્યું હતું કે ભારત હંમેશા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે કેટલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે અને તેમને પાછા મોકલી શકાય કે નહીં.
અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ તેમણે અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવાના પ્રયાસ શરૂ કર્યા છે. ગયા અઠવાડિયે બ્લૂમબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ લગભગ 18,000 ભારતીયોની ઓળખ કરી છે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. ગયા અઠવાડિયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સંબંધિત સમસ્યાના ઉકેલની ઈચ્છા વ્યક્ત કરી હતી.