લોડ થઈ રહ્યું છે...

અમદાવાદમાં યુનિટી માર્ચનો CMએ કરાવ્યો પ્રારંભ, આંબલી ગામ ખોડીયાર માતાના મંદિરેથી શરૂ થઈ પદયાત્રા

image
X
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંબલીથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો છે. ખોડીયાર મંદિર ખાતેથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ પદયાત્રા ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ફરશે. મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિતના તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે.

આ પદયાત્રા આંબલી ગામના ખોડીયાર મંદિરથી શરૂ થઈ હતી અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે, ઘાટલોડીયા વિધાનસભાના અલગ-અલગ રોડ પર આ યાત્રા ફરીને પૂર્ણ થશે, આ યાત્રામાં 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.