સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે આવી ઘટનાઓને રોકવા માટે સરકાર પોતાની જવાબદારી પૂરી કરશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનવા દેવામાં આવશે નહીં.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલ હુમલાને દુઃખદાયક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે,"કલાકારો પર આ પ્રકારના હુમલા તદ્દન ખોટા છે અને તે સમાજ માટે ચિંતાજનક સંકેત છે અને અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ." તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપીએ ચોરીના ઈરાદે આ પગલું ભર્યું હતું.
એકનાથ શિંદેએ આગળ કહ્યું કે,"રાજ્ય સરકાર તમામ નાગરિકોની સલામતીને સર્વોપરી ગણીને નક્કર પગલાં લઈ રહી છે." તેમણે ખાતરી આપી હતી કે,"આવી ઘટનાઓને રોકવા માટે સરકાર પોતાની જવાબદારી નિભાવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનવા દેવામાં આવશે નહીં."
જ્યાં એક તરફ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આરોપીઓની ધરપકડની પુષ્ટિ કરી છે, તો બીજી તરફ મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ આ અંગે અલગ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,"હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલા બાદ આરોપીઓ વિશે સુરાગ મેળવવા માટે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે."
ગુરુવારે વહેલી સવારે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા ચોરે અભિનેતા સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં અભિનેતા ઘાયલ થયો હતો. આ પછી તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. અભિનેતાના સ્વાસ્થ્યને લઈને તેની ટીમ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તે હવે ખતરાથી બહાર છે.