સાયબર ક્રાઇમ પર મોટી કાર્યવાહીમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગે લગભગ 35 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત 70 હજારથી વધુ વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને પણ DoT એ મોટી કાર્યવાહી કરી હતી અને લાખો નકલી SMS ટેમ્પલેટ્સને બ્લોક કર્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ છેલ્લા કેટલાક મહિનાઓથી વધી રહેલા સાયબર ક્રાઈમ પર કાર્યવાહી કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન લાખો વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, DoT અને TRAIએ તેમની ઘણી નીતિઓમાં પણ સુધારો કર્યો છે, જેથી સાયબર ક્રાઈમ પર અંકુશ લાવી શકાય.
વોટ્સએપ નંબર બંધ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા DoTએ જણાવ્યું છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને જાગૃત નાગરિકોના કારણે 34,951 WhatsApp એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય 73,789 વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દૂરસંચાર વિભાગે જાગૃત નાગરિકોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તમારા રિપોર્ટિંગથી મોટો ફરક પડી શકે છે. જો તમને પણ છેતરપિંડીની શંકા હોય, તો તરત જ સરકારી પોર્ટલ ચક્ષું (sancharsaathi.gov.in) પર તેની જાણ કરો.
પોર્ટલ 2023માં થયું છે લોન્ચ
સરકારે આ પોર્ટલ 2023માં લોન્ચ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના સંચાર સાથી પોર્ટલ પર છેતરપિંડીની ઘટનાઓ ઑનલાઇન નોંધી શકાય છે. આ સિવાય કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અથવા મેસેજની જાણ કરવાની સુવિધા પણ છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ હાલમાં જ તમામ ટેલિકોમ ઓપરેટર્સ પર નકલી કોલ રોકવામાં અસમર્થતા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરે અત્યાર સુધીમાં ટેલિકોમ કંપનીઓ પર 142 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ આ દંડની રકમ આ કંપનીઓની બેંક ગેરંટીમાંથી ચૂકવવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને સૂચના આપવામાં આવી છે.
લાખો સિમ બંધ કરવામાં આવ્યા
ગયા વર્ષે સરકારે સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરી હતી અને 78.33 લાખ મોબાઈલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ મોબાઈલ નંબર નકલી દસ્તાવેજોના આધારે લોકોને આપવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા AI ટૂલ્સની મદદથી, આ નકલી નંબરોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકારે સાયબર ક્રાઈમમાં સામેલ 6.78 લાખ મોબાઈલ નંબરને બ્લોક કરવાનો આદેશ પણ જારી કર્યો હતો.