લોકસભા ચૂંટણી/ કેટલા ટકા લોકો નરેન્દ્ર મોદીને દેશના PM બનાવવા માંગે છે? યોગી કરતાં કેજરીવાલ વધુ પસંદ, સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામો
ABP CVoter એ ચૂંટણી રાજ્ય છત્તીસગઢમાં એક સર્વે હાથ ધર્યો છે. સર્વેમાં રાજ્ય સરકારની કામગીરીની સાથે દેશના આગામી પીએમ ચહેરા અંગે લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
2024ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા હજુ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે લોકસભાની ચૂંટણી માટે ABP CVoter એ ચૂંટણી રાજ્ય છત્તીસગઢમાં એક સર્વે હાથ ધર્યો છે. સર્વેમાં રાજ્ય સરકારની કામગીરીની સાથે દેશના આગામી પીએમ ચહેરા અંગે લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી ચહેરા અંગે સી-વોટરે 18 જુલાઈથી 19 ઓગસ્ટ વચ્ચે એબીપી ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. જેમાં લોકોને સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં દેશના આગામી પીએમની પસંદગી કોણ છે? ત્યારે સી વોટર સર્વેના આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા છે. સર્વે અનુસાર, આ સવાલ પર જનતાએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને માત્ર 2.8 ટકા વોટ આપ્યા છે. જ્યારે 20 ટકા લોકો રાહુલ ગાંધીને આગામી પીએમ તરીકે જોવા માંગે છે. આ સર્વે રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના પ્રભાવશાળી મતદારો વચ્ચે રૂબરૂ કરવામાં આવ્યો છે.