પનામા નહેરને લઈને ટ્રમ્પના દબાણની વચ્ચે પનામાના રાષ્ટ્ર પ્રમુખ જોર સાઉલ મુલિનોએ કહ્યું કે, અમારો દેશ ચીનની મહત્ત્વકાંક્ષી યોજના બેલ્ડ એન્ડ રોડને રિન્યૂ નહીં કરે. પનામા 2017માં ચીનની આ યોજનાથી જોડાયેલું હતું. પરંતુ, હવે પનામાના રાષ્ટ્ર પ્રમુખની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે, પનામા જલ્દી ચીનની આ યોજનાથી બહાર નીકળવા જઈ રહ્યું છે.
રાષ્ટ્ર પ્રમુખ મુલિનોએ કહ્યું કે, હવે પનામા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિત નવા રોકાણ પર અમેરિકાની સાથે મળીને કામ કરશે. અમારી સરકાર પનામા પોર્ટ્સ કંપનીનું ઑડિટ કરશે, આ કંપની પનામા નહેરના બે બંદરોને ઓપરેટ કરનારી ચીનની કંપની સાથે જોડાયેલી છે. અમે પહેલાં ઑડિટ પૂર્ણ થવાની રાહ જોવી પડશે. આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પનામાના રાષ્ટ્ર પ્રમુખ મુલિનોને કહ્યું હતું કે, પનામા પર ચીનના કબ્જાના કારણે અમેરિકાએ પોતાના અધિકારોની સુરક્ષા કરવી પડશે. મને નથી લાગતું કે, અમેરિકાને પનામા પર ફરી કબ્જો કરવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવો પડશે.
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પનામાને પરત લઈને રહીશું, અને તેના માટે અમે કંઈક મોટું પગલું લેવા જઈ રહ્યાં છીએ. પનામા જ ચીનને ચલાવી રહ્યું છે જોકે, આ નહેર ચીનને સોંપવામાં નહોતી આવી. પનામા નહેર સમજ્યા વિના પનામાને સોંપી દેવામાં આવી હતી. પરંતુ, તેઓએ કરારનું ઉલ્લંઘન કર્યું અને અમે તેને પરત લઈને રહીશું. જેના માટે અમુક મોટા પગલાં લેવા જઈ રહ્યાં છીએ. આ પહેલાં પનામા નહેરને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, અમારી નૌસેના અને કારોબારી સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવતી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની વસ્તુઓને તુરંત બંધ કરી દેવી જોઈએ. જો પનામાનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નથી થતું તો અમે માંગ કરીશું કે, પનામા નહેર અમને સંપૂર્ણ રીતે પરત કરવામાં આવે. જો નૈતિક અને કાયદાકીય રીતે બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માંગ કરીશું કે, પનામા નહેરને જેટલું બની શકે તેટલું જલ્દી અમેરિકાને પરત કરી દો.
પનામા નહેરના સંચાલનમાં ચીનની સરકારની સ્પષ્ટ ભૂમિકાનું કોઈ પ્રમાણ નથી પરંતુ, પનામામાં ચીની કંપનીઓની સારી એવી હાજરી છે. ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 સુધી પનામાથી થઈને પસાર થતાં જહાજોમાં 21.4 ટકા ઉત્પાદન ચીનનું હતું. ચીને અમેરિકા બાદ પનામા નહેરનો સૌથી વધારે ઉપયોગ કરનાર દેશ છે. હાલના વર્ષોમાં ચીને નહેર પાસે બંદર અને ટર્મિનલોમાં પણ ભારે રોકણ કર્યું છે. નહેર સાથે જોડાયેલા બંદરમાંથી બે વર્ષ 1997થી જ ચીની કંપની હચિસન પોર્ટ હોલ્ડિંગ્સની સહાયક કંપની સંચાલન કરી રહી છે. આ બંદર છે, પ્રશાંત મહાસાગર તટ પર સ્થિત બાલ્બોઆ અને એટલાંટિકના તટ પર સ્થિત ક્રિસ્ટોબલ બંદર.
જાણો પનામાનું મહત્ત્વ?
દુનિયાભરની જિયોપૉલિટિક્સમાં પનામા નહેરનું ખૂબ જ મહત્ત્વ છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. કહેવામાં આવે છે કે, દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે. અમેરિકા માટે આ નહેર ખૂબ જ મહત્ત્વની છે. અમેરિકાનો 14 ટકા વ્યાપાર પનામા નહેર દ્વારા થાય છે. અમેરિકા સાથે જ દક્ષિણ અમેરિકાના દેશોની પણ મોટી સંખ્યામાં આયાત-નિકાસ પનામા નહેર દ્વારા જ થાય છે. એશિયાથી જો કેરેબિયાઈ દેશ માલ મોકલવાનો હોય તો જહાજ પનામા નહેર થઈને પસાર થાય છે. પનામા નહેર પર કબ્જાની સ્થિતિમાં દુનિયાભરની સપ્લાય ચેઇનમાં અડચણ ઊભી થઈ શકે છે. પનામા નહેરનું નિર્માણ વર્ષ 1881માં શરૂ થયું હતું. પરંતુ, 1904માં અમેરિકાએ આ નહેરના નિર્માણની જવાબદારી સંભાળી અને 1914માં અમેરિકા દ્વારા આ નહેરના નિર્માણને પૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ પનામા નહેર પર અમેરિકાનું નિયંત્રણ રહ્યું. પરંતુ, વર્ષ 1999માં અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પનામાની સરકારને સોંપી દીધું. હવે તેનું પ્રબંધન પનામા નહેર ઑથોરિટી દ્વારા કરવામાં આવે છે.