RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું
નેહલ વાઢેરાની શાનદાર બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી. RCB અને પંજાબ વચ્ચેની આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી અને મેચ 14-14 ઓવરમાં રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે યોગ્ય સાબિત થયો. RCBની ટીમ ૧૪ ઓવરમાં નવ વિકેટે માત્ર 95રન જ બનાવી શકી. જવાબમાં પંજાબે 12.1 ઓવરમાં પાંચ વિકેટે 98 રન બનાવીને મેચ જીતી લીધી.
પંજાબ તરફથી નેહલ વાઢેરાએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 33 રન બનાવ્યા. RCB તરફથી જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લીધી જ્યારે ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત પણ સારી રહી ન હતી કારણ કે તેમણે 32 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પ્રભસિમરન સિંહ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા અને પ્રિયાંશ આર્ય 16 રન બનાવીને પરત ફર્યા હતા. જ્યારે પંજાબનો સ્કોર 50 રનને પાર કરી ગયો, ત્યારે ટીમે કેપ્ટન શ્રેયસ ઐયરની વિકેટ પણ ગુમાવી દીધી, જે સાત રન બનાવીને આઉટ થયો હતો.
શ્રેયસના આઉટ થયા પછી તરત જ, હેઝલવુડે જોશ ઇંગ્લિસને આઉટ કર્યો જે 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ નેહાવ વાઢેરાએ કેટલાક સારા શોટ રમીને ટીમને વિજયની નજીક પહોંચાડી, પરંતુ પંજાબે શશાંક સિંહના રૂપમાં તેની પાંચમી વિકેટ ગુમાવી દીધી. શશાંક એક રન બનાવીને આઉટ થયો. મેચ રોમાંચક પરિસ્થિતિમાં દેખાતી હતી, પરંતુ નવા બેટ્સમેન તરીકે આવેલા માર્કસ સ્ટોઇનિસે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો. સ્ટોઇનિસ બે બોલમાં સાત રન બનાવીને અણનમ રહ્યો.
આ જીત સાથે, પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેમના સાત મેચમાં પાંચ જીત અને બે હાર સાથે 10 પોઈન્ટ છે. આ RCBનો સાત મેચમાં ત્રીજો પરાજય છે અને તેઓ હાલમાં ચાર જીત અને આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.