શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોએ રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા
પ્રોફિટ બુકિંગ પર શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 900 અને નિફ્ટીમાં 272 પોઈન્ટના ઘટાડા પછી બંધ થયો, રોકાણકારોએ ટ્રેડીંગના દિવસોમાં 4 લાખ કરોડ ગુમાવ્યા
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર અત્યંત નિરાશાજનક રહ્યું. રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચાણને કારણે સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. કોઈ પણ ક્ષેત્ર વેચવાલીથી બચી શક્યું નથી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 60,000ની સપાટીની નીચે 912 પોઈન્ટ ઘટીને 59,755 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 275 પોઈન્ટ ઘટીને 17,550 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, ફાર્મા, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નુકસાન સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરોમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 1 શેરે જ વેગ પકડ્યો હતો જ્યારે 29 શેરો નીચે બંધ થયા હતા. બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો અને આ ઇન્ડેક્સ 1.73 ટકાના ઘટાડા સાથે 39,974 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. બજારમાં આજે 3606 શેરોમાંથી માત્ર 953 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2520 શેર ઘટ્યા હતા.
તેજીવાળા શેરો
આજના ટ્રેડિંગ સેશનમાં માત્ર ITC શેર 0.42 ટકા, બજાજ ઓટો 0.09 ટકા અને ડિવિસ લેબ 0.07 ટકા વધીને બંધ થયા હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ 10.58 ટકા, અદાણી પોર્ટ્સ 6.19 ટકા, ગ્રાસિમ 3.61 ટકા, બજાજ ફાઇનાન્સ 2.83 ટકા ઘટીને બંધ થયા હતા.
રોકાણકારોને નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. રોકાણકારોએ એક જ ટ્રેડિંગ સેશનમાં 4 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ મંગળવારે રૂ. 265.23 લાખ કરોડથી ઘટીને રૂ. 261.34 લાખ કરોડ થયું હતું. એટલે કે રોકાણકારોને કુલ 3.91 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.