લોકગાયક કીર્તિદાન ગઢવીનું સોનાની પાઘડી પહેરાવી સન્માન; ઐતિહાસિક બનાવનાં લાખો સાક્ષીઓએ આપ્યા આશિર્વાદ
તારી વાંકી રે પાઘલડીનું ફૂમકુ રે - પણ આ તો આખી પાઘડી જ સોનાની અને તેમાં પણ સન્માનની.... જી હા, કલ્પના કરો કે કોઇ લોકગાયકનું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હોય તેવો આ સૌપ્રથમ વખત બનતો ઐતિહાસિક બનાવ હતો અને સાક્ષી દુધરેજ વડવાળાધામના ભાવિકો હતા ત્યારે કેવા પ્રેમનાં રંગોની છોળો ઉડી હશે.
પરંપરા ગત રીતે સુરેન્દ્રનગરનાં દુધરેજ સ્થિત વડવાળાધામ ખાતે હોળીના પર્વે સંતવાણી અને લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. દુધરેજ સ્થિત વડવાળાધામનાં કનીરામબાપુનાં સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી અને સાથી કલાકારોને બિરદાવવા લાખોની સંખ્યામાં શ્રોતાનો સાગર છલકાતો હતો. અને વચ્ચે જ એક જાહેરાત કરવામાં આવી કો, સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને સોનાની પાઘડી પહેરાવી સન્માન કરવાનું છે. સુરેન્દ્રનગરનાં દુધરેજ સ્થિત વડવાળાધામ દિનેશભાઈ દેસાઈએ સોનાની પાઘડી કીર્તિદાન ગઢવીને પહેરાવી અને સાગર સમાન જનમેદનીમાં એક અનેરી લાગણી પ્રસરી. ઉપસ્થિત લાખો શ્રોતાઓની સાથે સાથે શ્રેષ્ઠીઓએ પણ કીર્તિદાન ગઢવી પર પ્રેમ વર્ષાવ્યો અને લોકગાયક પણ લોકોનાં પ્રેમનાં રંગે રંગાયા. કોઇ લોકગાયકનું સોનાની પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હોય તેવો આ સૌપ્રથમ વખત બનતો ઐતિહાસિક બનાવ હતો અને સાક્ષી દુધરેજ વડવાળાધામના ભાવિકો હતા. કીર્તિદાન ગઢવી અને સહકલાકારોએ ડાયરામાં નોખાં-અનોખાં ભજનો અને લોકગીતો દ્વારા સૌને હોળીનાં પર્વે લોકગીત અને ભજનનાં રંગે રંગી દીધા હતા. સોનાની પાઘડીથી સન્માનિત કીર્તિદાન ગઢવીએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તો સાથે સાથે વડવાળાધામનાં કનીરામબાપુએ કીર્તિદાન ગઢવીને આશીર્વાદ પાઠવી કીર્તિદાન ગઢવીની કીર્તિ વિશ્વભરમાં ફેલાવતા રહે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.