સુરત લોકસભા બેઠક છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાનો વિષય બની છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બનતા જ સમગર્ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા જ તે શંકાના ઘેરામાં આવી ગયા હતા. બીજા દિવસે અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા જ ભાજપને ચૂંટણી અગાઉ જ એક બેઠક મળી ગઇ હતી.
નિલેશ કુંભાણી જ્યારથી તેમનું ફોર્મ રદ્દ થયું તે દિવસથી જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું, આ તમામ ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર, લોકશાહીનો હત્યારો છે તેવા પોસ્ટર તેમના યઘરે લગાવ્યા હતા. આટલું જ નહીં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ આ અંગે પોતાના વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
જાણો શું કહ્યુ તેમની પત્ની નીતા કુંભાણીએ
નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી આજે મિડીયા સમક્ષ આવ્યા હતા. તેમણે કહ્યું કે, મારા ઘરે કોગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. હુ ઘર બંધ કરીને બાળકોના યુનિફોર્મ લેવા ગઈ ત્યારે મારા ઘરની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે નિલેશ કુંભાણી અંગે કહ્યું કે, તે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે ગુજરાત હાઇકોર્ટ જવાનું કહીને નીકળ્યા હતા તેથી મને શંકા છે કે, તે અમદાવાદમાં હોઇ શકે છે. પરંતુ આ અંગે મારી પાસે બીજી કોઇ માહિતી નથી.
પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી અંગે કરી આ વાત
અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.